Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતસમાચાર

રાજ્યમાં લોકડાઉન આવશે કે નહીં આવે, જાણો મુખ્યમંત્રીએ લોકોને શું કરી અપીલ

  • લોકોએ અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી, બસ સરકારે થોડા નિયંત્રણ લાદ્યા છે તો તેનું સમર્થન આપો: સંક્રમણ ઘટાડવા જરુરી પગલા લીધા છે.

સમગ્ર ગુજરાતમાં ગઈકાલ સુધીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6737 થઈ હતી તો મૃત્યુઆંક પણ 4443 થયો છે. રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ સઘન રીતે ચાલી રહી છે. કોરોના કેસની વકરતી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના નાગરિકોને સંબોધન કર્યુ હતું અને હાલની સ્થિતિમાં સાવચેતી સલામતી અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ફરી લોકડાઉનની સ્થિતિને પણ નકારી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટ પણે કહ્યું કે, આ અગાઉ જ્યારે કોરોનાનો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ તેમજ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ થાય તેવી સ્થિતિ સર્જી હતી. જ્યારે આ વખતે ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ વધ્યું છે ત્યારે કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો વ્યાપક હિતમાં સમર્થન આપે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશીયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા કહ્યું કે, લોકોએ અફવાઓ થી ગભરાવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ફરીથી લોક ડાઉન આવવાનું નથી જ કે કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે.

મુખ્યંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે. મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે. કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવો પડ્યો છે.

હોટલ-રેસ્ટોરન્ટ્સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું’ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે અને લોકોને હેરાન ન થવું પડે, ધંધા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે.

અગાઉ કોરોનાની લહેર દેશ સહિત ગુજરાતમાં હતી ત્યારે પણ આપણે આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા અને તે વખતે ગુજરાતની જનતાએ પૂરો સહકાર પણ આપ્યો જ હતો. જ્યારે સંક્રમણ કાબૂમાં આવ્યું ત્યારે જાહેર જનતાને તકલીફ ન પડે એ મુજબ નિયમો હળવા પણ કરી દીધા હતા. ત્યારબાદ સંક્રમણ થોડું વધ્યું હતું, ત્યારે આપણે પાછા સાવચેત થયા હતા, જરૂરી પગલાં લીધાં હતાં અને સંક્રમણ ઘટાડ્યું હતું એટલા જ માટે આપણે ભૂતકાળમાં કોરોના સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ’

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી કોરોના સામે ની લડાઈ માં સરકારે જે જે નિર્ણયો કર્યા તેને રાજ્યની જનતા એ પૂરો સહયોગ અને સમર્થન આપ્યા જ છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જાહેર જનતા પાસેથી અગાઉ જેવી જ સાવચેતી અને સહકારની અપેક્ષા સરકાર રાખી રહી છે’

એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે.બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે. હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી.

અત્યારે કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર કડક પગલા લીધા છે, જ્યારે કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઇ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, માસ્કના દંડ ના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી. આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ રૂપિયા 1000 દંડ લઇ રહ્યા છીએ. વિજય ભાઈ રૂપાણી એ સૌને એવી અપીલ પણ કરી કે રાજ્યમાં કોઈને માસ્ક ના પહેરવા નો દંડ જ ન ભરવો પડે એવી સ્થિતિ આપણે સૌ ઊભી કરીએ.

મુખ્યમંત્રીએ જાહેર જનતાને અપિલ કરતા જણાવ્યું કે, પહેલા જેવી સંયમ અને સાવચેતી રાખી છે એવી જ અત્યારે ફરી એકવાર સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. મુખ્યમંત્રીએ કોરોના હારશે ગુજરાત જીતશેને સાકાર કરીશું એવો વિશ્વાસ વ્યકત કરતા કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરીએ અને વેક્સિનેશનમાં જ્યારે આપણો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇએ એટલું જ નહિ બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ અને ટોળામાં ભેગા થવાનું ટાળીએ. આ બધા નિયમો અને થોડીક સાવધાનીથી આપણે ફરીથી કોરોના ને હરાવીશું.

[quads id=1]

Related Articles

Back to top button