![જૂનાગઢ ના સાકરબાગ અભયારણ્ય મા બે સિંહ, 3 દીપડાને આપવામાં આવી કોરોનાની બીજી વેક્સીન](https://mediaassets-in.blr1.cdn.digitaloceanspaces.com/gujaratcoverage/2022/06/rajkot-_sakkarbaugh_zoo.jpg)
એશિયાટીક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાન એવા જૂનાગઢ જિલ્લામાં આવેલા સાકરબાગ અભયારણ્ય (ઝૂ)માં બે સિંહ, 3 દીપડાની કોરોનાની બીજી વેક્સીન કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયમાં સિંહોને કોરોના મહામારી થી બચાવવા માટે રસીકરણનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં 5 વન્ય પ્રાણીઓને કોરોનાની બંને રસી આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ દીપડા અને બે સિંહોને પ્રથમ રસી આપવામાં આવી હતી. હવે તેની બીજી રસી પણ આપવામાં આવી છે. બીજી રસીકરણ પછી, બે મહિના સુધી જંગલી પ્રાણીઓના એન્ટિબોડીઝનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. પાંચેય પ્રાણીઓમાં એન્ટિબોડીઝનો વિકાસ થયો છે. આમાં તાવ કે અન્ય આડઅસર જોવા મળી નથી.
પહેલી રસીના 28 દિવસ બાદ બીજી રસી અપાઈ: વન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રથમ રસીના 28 દિવસ બાદ બીજી રસી જૂનના બીજા સપ્તાહમાં આપવામાં આવી છે. ત્યારથી આ તમામ વન્ય પ્રાણીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ વન્ય પ્રાણીઓ સ્વસ્થ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, જૂન 2021માં ચેન્નાઈના ઝૂમાં કોરોનાને કારણે બે સિંહોના મોત થયા હતા. જે બાદ વન્ય પ્રાણીઓને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વન્ય પ્રાણીઓ માટે ખાસ પ્રકારની રસી બનાવવામાં આવી હતી.
દેશના છ પ્રાણીસંગ્રહાલયોમાં વન્ય પ્રાણીઓ પર ક્લિનિકલ ટ્રાયલ હેઠળ કોરોનાની રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂનાગઢ ઉપરાંત દિલ્હી, બેંગ્લોર, નાગપુર, ભોપાલ અને જયપુરના પ્રાણી સંગ્રહાલયની પસંદગી કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સરકારે જંગલમાં રખડતા અન્ય વન્ય પ્રાણીઓને રસી આપવાનો કોઈ નિર્ણય લીધો નથી.