
દેશમાં અને રાજ્યમાં હાલમાં લોકોના આપઘાતના બનાવોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે જેના અવાર નવાર બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એકબનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ બનાવમાં એક સાથે પરિવારના 9 સભ્યોએ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આજે એક ખૂબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના મહૈસાલમાં એક જ પરિવારના નવ સભ્યો તેમના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. આ અંગે એસપી સાંગલીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ અંગે જિલ્લા એસપી દિક્ષિત ગેદામે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને એક ઘરમાંથી નવ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે ત્રણ મૃતદેહો એક જગ્યાએ અને બાકીના છ મૃતદેહો ઘરના જુદા જુદા ભાગોમાં મળી આવ્યા હતા. આત્મહત્યાની શક્યતા અંગે તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે, પરંતુ અમે અન્ય એંગલથી પણ તેની તપાસ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ સાથે જ અન્ય એક પોલીસ અધિકારીએ પણ આત્મહત્યાની શક્યતા હોવાનું વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ આપઘાત મામલે એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે મૃતકે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હશે. જોકે, આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મોતનું સાચું કારણ જાણી શકાશે. જો કે હાલમાં આ ઘટના બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.