
સાબરમતી રેલ્વે સ્ટેશનની પણ ગાંધીનગર રેલ્વે સ્ટેશન કે દેશના અન્ય રેલ્વે સ્ટેશનોની જેમ કાયાપલટ કરવામાં આવશે. લગભગ 350.76 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ સ્ટેશનને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી હાઈસ્પીડ રેલ, મેટ્રો સ્ટેશન, ફૂટ બ્રિજ સાથે જોડવામાં આવશે. સાબરમતી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો પણ 16000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સમાં સમાવેશ થાય છે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
આ રીડેવલપમેન્ટ પ્લાનમાં સાબરમતી રેલ્વે સ્ટેશનના સ્કાયવોક સાથે રેલ્વે, હાઈસ્પીડ, મેટ્રો સ્ટેશન સહિતના સ્ટેશનોનું એકીકરણ કરવામાં આવશે. સાબરમતી ખાતે એરસ્પેસ કોન્કોર્સ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત અહીં ફૂટબ્રિજ પણ બનાવવામાં આવશે. સાબરમતી અને SBT ખાતે નવી સ્ટેશન બિલ્ડીંગ, પેસેન્જર હોલ્ડિંગ એરિયા અને હાલના સ્ટેશન બિલ્ડિંગનું રિટ્રોફિટીંગ કરવામાં આવશે. વિકલાંગો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. વર્ટિકલ સર્કુલેશન માટે પૂરતી સંખ્યામાં લિફ્ટ્સ, એસ્કેલેટર, સીડીઓ છે.
અમદાવાદ-બોટાદ ટ્રેનને બતાવી લીલી ઝંડી
અમદાવાદ-બોટાદ વચ્ચે દોડતી ટ્રેનને પણ આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદના ડિવિઝનલ રેલ્વે મેનેજર તરુણકુમાર જૈન દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ ટ્રેન શરૂ થતાં અમદાવાદથી બોટાદ કે ભાવનગર જતા મુસાફરોની મુસાફરી સરળ થઇ જશે.
જયારે, ન્યુ પાલનપુર-માદર સેક્શન પર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો લગભગ 357 કિમી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો, જે દેશના મુખ્ય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ દ્વારા, ઝડપી, લાંબા અને ભારે કાર્ગો હેન્ડલિંગ સાથે પરિવહન ક્ષમતા અને ઊર્જા કાર્યક્ષમતામાં મોટી છલાંગ થશે.